Luke 22

1હવે બેખમીર રોટલીનું પર્વ જે પાસ્ખા કહેવાય છે, તે પાસે આવ્યું. 2ઈસુને શી રીતે મારી નાખવા, તેની તજવીજ મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ કરતા હતા; કેમ કે તેઓ લોકોથી બીતા હતા.

3યહૂદા જે ઇશ્કરિયોત કહેવાતો હતો, જે બાર શિષ્યોમાંનો એક હતો, તેનામાં શેતાને પ્રવેશ કર્યો. 4તેણે જઈને મુખ્ય યાજકો તથા સરદારોના હાથમાં ઈસુને શી રીતે સ્વાધીન કરવા, તે સંબંધી તેઓની સાથે મસલત કરી.

5તેથી તેઓ ખુશ થયા, અને તેને [લાંચ રૂપે] પૈસા આપવાનું વચન આપ્યું; 6તે સહમત થયો, અને લોકો હાજર ન હોય ત્યારે ઈસુને તેઓના હાથમાં સોંપવાની તક તે શોધતો રહ્યો.

7બેખમીર રોટલીનો દિવસ આવ્યો કે જયારે પાસ્ખાની વિધિ કરવાની હતી. 8ઈસુએ પિતરને તથા યોહાનને એમ કહીને મોકલ્યા કે, ‘જઈને આપણે સારુ પાસ્ખા તૈયાર કરો કે આપણે તે ખાઈએ.’ 9તેઓએ ઈસુને કહ્યું કે, ‘અમે ક્યાં તૈયાર કરીએ એ વિષે તમારી શી ઈચ્છા છે?’

10ઈસુએ તેઓને કહ્યું કે, ‘જુઓ, તમને શહેરમાં પેસતાં પાણીનો ઘડો લઈને જતો એક પુરુષ મળશે, તે જે ઘરમાં જાય ત્યાં તેની પાછળ જજો.’ 11ઘરના માલિકને કહેજો કે,’ ઉપદેશક તને કહે છે કે, જ્યાં મારા શિષ્યોની સાથે હું પાસ્ખા ખાઉં તે ઉતારાની ઓરડી ક્યાં છે?

12તે તમને સરસામાન સહિતની એક મોટી મેડી દેખાડશે, ત્યાં તૈયાર કરો.’ 13તેઓ ગયા, જેમ ઈસુએ તેઓને કહ્યું હતું તેમ તેઓને મળ્યું, અને તેઓએ પાસ્ખા તૈયાર કર્યું.

14વખત થયો ત્યારે તે બેઠા, તથા બાર શિષ્યો તેમની સાથે બેઠા. 15ઈસુએ તેઓને કહ્યું કે, ‘મરણ સહ્યા પહેલાં આ પાસ્ખા તમારી સાથે ખાવાની મારી ઘણી ઇચ્છા હતી. 16કેમ કે હું તમને કહું છું કે, ઈશ્વરના રાજ્યમાં તે પૂરું થાય ત્યાં સુધી હું તે ફરી ખાઈશ નહિ.’

17ઈસુએ પ્યાલો લઈને સ્તુતિ કરીને કહ્યું કે, ‘આ લો, અને માંહોમાંહે વહેંચો. 18કેમકે હું તમને કહું છું કે, ઈશ્વરનું રાજ્ય આવે ત્યાં સુધી હું હવેથી દ્રાક્ષનો રસ પીનાર નથી.’

19પછી ઈસુએ રોટલી લઈને સ્તુતિ કરીને ભાંગી, અને તેઓને આપીને કહ્યું કે, ‘આ મારું શરીર છે જે તમારે સારુ આપવામાં આવે છે, મારી યાદગીરીમાં આ કરો.’ 20તે પ્રમાણે ભોજન કર્યા પછી તેમણે પ્યાલો લઈને કહ્યું કે, ‘આ પ્યાલો તમારે સારુ વહેવડાવેલા મારા લોહીમાંનો નવો કરાર છે.

21પણ જુઓ, જે મને પરાધીન કરે છે તેનો હાથ મારી સાથે મેજ પર છે. 22માણસનો દીકરો ઠરાવ્યા પ્રમાણે જાય છે ખરો, પણ જે માણસથી તે પરાધીન કરાય છે તેને અફસોસ છે!’ 23તેઓ અંદરોઅંદર પૂછપરછ કરવા લાગ્યા, કે’ આપણામાંનો કોણ આ કામ કરવાનો હશે?’

24આપણામાં કોણ મોટો ગણાય તે સંબંધી પણ તેઓમાં વાદવિવાદ શરૂ થયો. 25ઈસુએ તેઓને કહ્યું કે, ‘બિનવિશ્વાસીઓના રાજાઓ તેમના પર સત્તા ચલાવે છે અને જેઓ તેમના પર અધિકાર ચલાવે છે તેઓ પરોપકારી કહેવાય છે.

26પણ તમે એવા ન થાઓ; પણ તમારામાં જે મોટો હોય તેણે નાના જેવા થવું, અને જે આગેવાન હોય તેણે સેવક ના જેવા થવું. 27કેમ કે આ બેમાં કયો મોટો છે, જમવા બેસનાર કે સેવા કરનાર? શું જમવા બેસનાર મોટો નથી? પણ હું તમારામાં સેવા કરનારના જેવો છું.

28પણ મારી કપરી કસોટીઓમાં મારી સાથે રહેનાર તમે થયા છો. 29જેમ મારા પિતાએ મને રાજ્ય ઠરાવી આપ્યું, તેમ હું તમને રાજ્ય ઠરાવી આપું છું; 30કે તમે મારા રાજ્યમાં મારી મેજ પર ખાઓ અને પીઓ; અને તમે ઇસ્રાએલનાં બાર કુળોનો ન્યાય કરતાં રાજ્યાસનો પર બિરાજો.’

31‘સિમોન, સિમોન, જો, શેતાને તમને ઘઉંની પેઠે ચાળવા સારુ [કબજે લેવા] માગ્યા. 32પણ મેં તારે સારુ વિનંતી કરી કે, તારો વિશ્વાસ ખૂટે નહિ; અને તું તારા ફર્યા પછી તારા ભાઈઓને સ્થિર કરજે.’

33તેણે તેમને કહ્યું કે, ‘પ્રભુ, હું તમારી સાથે જેલમાં જવા તથા મરવા પણ તૈયાર છું.’ 34પણ ઈસુએ કહ્યું કે, ‘પિતર, હું તને કહું છું કે, આજે મરઘો બોલ્યા અગાઉ, ‘હું તને ઓળખતો નથી’, એમ કહીને તું ત્રણ વાર મારો નકાર કરશે.’

35પછી તેણે તેઓને પૂછ્યું કે, ‘જયારે થેલી તથા પગરખા વિના મેં તમને મોકલ્યા ત્યારે તમને કશાની ખોટ પડી?’ તેઓએ કહ્યું કે, ‘કશાની નહિ.’ 36ત્યારે તેમણે તેઓને કહ્યું, ‘પણ હમણાં જેની પાસે નાણાં હોય તે રાખે, થેલી પણ રાખે, અને જેની પાસે તરવાર ના હોય તે પોતાનું કપડું વેચીને તરવાર ખરીદી રાખે.

37કેમ કે હું તમને કહું છું કે, ‘તે અપરાધીઓની સાથે ગણાયો’, એવું જે લખેલું છે તે મારા સંદર્ભે હજી પૂરું થવું જોઈએ; કારણ કે મારા સંબંધીની વાતો પૂરી થાય છે.’ 38તેઓએ કહ્યું કે, ‘પ્રભુ, જો બે તરવાર આ રહી;’ તેણે તેઓને કહ્યું કે, ‘એ બસ છે.’

39બહાર નીકળીને પોતાની રીત પ્રમાણે ઈસુ જૈતૂન પહાડ પર ગયા; શિષ્યો પણ તેમની પાછળ ગયા. 40ઈસુ તે જગ્યાએ આવ્યા, ત્યારે તેમણે તેઓને કહ્યું કે, ‘પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન પડો.’

41આશરે પથ્થર ફેંકાય તેટલે દૂર તે તેઓથી ગયા, અને ઘૂંટણ ટેકવીને તેમણે પ્રાર્થના કરતાં કહ્યું કે, 42‘હે પિતા, જો તમારી ઇચ્છા હોય, તો આ પ્યાલો મારાથી દૂર કરો, તોપણ મારી ઇચ્છા પ્રમાણે નહિ, પણ તમારી ઇચ્છા પ્રમાણે થાઓ.’

43આકાશમાંથી ઈસુને બળ આપતો એક દૂત તેમને દેખાયો. 44તેમણે વેદના સાથે વિશેષ આગ્રહથી પ્રાર્થના કરી, અને તેમનો પરસેવો જમીન પર પડતાં લોહીનાં ટીપાં જેવો થયો.

45પ્રાર્થના કરીને ઊઠયા પછી ઈસુ પોતાના શિષ્યોની પાસે પાછા આવ્યા, ત્યારે તેઓને થાકને લીધે નિદ્રાવશ થયેલા જોયા, 46ઈસુએ તેઓને કહ્યું કે, ‘કેમ ઊંઘો છો? ઊઠીને પ્રાર્થના કરો, કે તમે પરીક્ષણમાં ન પડો.’

47તે હજી બોલતા હતા એટલામાં, જુઓ, ઘણા લોકો આવ્યા, યહૂદા નામે બાર શિષ્યોમાંનો એક તેઓની આગળ ચાલતો હતો; તે ઈસુને ચુંબન કરવા સારુ તેમની પાસે આવ્યો. 48પણ ઈસુએ તેને કહ્યું, ‘શું તું માણસના દીકરાને ચુંબન કરીને પરાધીન કરે છે?’

49જેઓ તેમની આસપાસ હતા તેઓએ શું થવાનું છે તે જોઇને તેમને પૂછ્યું , ‘પ્રભુ, અમે તરવાર મારીએ શું?’ 50તેઓમાંનાં એકે મુખ્ય યાજકના ચાકરને તરવારનો ઝટકો માર્યો, અને તેનો જમણો કાન કાપી નાખ્યો. 51પણ ઈસુએ જણાવ્યું કે,’હવે બસ કરો’ . અને તેમણે ચાકરના કાનને સ્પર્શીને સાજો કર્યો.

52જે મુખ્ય યાજકો તથા ભક્તિસ્થાનના સરદારો તથા વડીલો તેમની સામે આવ્યા હતા, તેઓને ઈસુએ કહ્યું, ‘જેમ લૂંટારાની સામે આવતા હો તેમ તરવારો તથા લાકડીઓ લઈને કેમ આવ્યા છો? 53હું રોજ તમારી સાથે ભક્તિસ્થાનમાં હતો, ત્યારે તમે મારા પર હાથ નહોતા નાખ્યા; પણ હાલ તમારો સમય અને અંધકારનું જોર છે.’

54તેઓ ઈસુની ધરપકડ કરીને લઈ ગયા. મુખ્ય યાજકના ઘરમાં તેમને લાવ્યા. પણ પિતર દૂર રહીને તેમની પાછળ ચાલતો હતો. 55ચોકની વચમાં તાપણું સળગાવીને તેઓ તાપવા બેઠા ત્યારે પિતર તેઓની સાથે બેઠો હતો.

56એક છોકરીએ તેને અગ્નિના પ્રકાશમાં બેઠેલો જોઈને તેની તરફ સતત જોઈ રહીને કહ્યું કે, ‘આ માણસ પણ તેમની સાથે હતો.’ 57પણ પિતરે ઇન્કાર કરીને કહ્યું કે, ‘બહેન, હું તેમને ઓળખતો નથી.’ 58થોડી વાર પછી બીજાએ તેને જોઈને કહ્યું કે,’તું પણ તેઓમાંનો છે.’ પણ પિતરે કહ્યું, ‘અરે, ભાઈ, હું એમાંનો નથી.’

59આસરે એક કલાક પછી બીજાએ ખાતરીથી કહ્યું કે, ‘ખરેખર આ માણસ પણ તેમની સાથે હતો, કેમકે તે ગાલીલનો છે.’ 60પણ પિતરે કહ્યું, ‘અરે ભાઈ, તું શું કહે છે તે હું જાણતો નથી.’ અને તરત, તે બોલતો હતો એટલામાં મરઘો બોલ્યો.

61પ્રભુએ ફરીને પિતરની સામે જોયું. અને પિતરને પ્રભુનું વચન યાદ આવ્યું કે, ‘ઈસુએ તેને કહ્યું હતું કે, આજ મરઘો બોલ્યા અગાઉ તું ત્રણ વાર મારો નકાર કરશે.’ 62તે બહાર જઈને બહુ જ રડ્યો.

63ઈસુ જે માણસોના હવાલે હતા તેઓએ તેમની ઠેકડી ઉડાવી અને તેમને માર માર્યો. 64તેઓએ તેમની આંખોએ પાટો બાંધીને તેને પૂછ્યું કે ‘કહી બતાવો, તમને કોણે માર્યા?’ 65તેઓએ તેમની નિંદા કરીને તેની વિરુદ્ધ બીજું ઘણું કહ્યું.

66દિવસ ઊગતા જ લોકોના વડીલોની સભા, મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ ભેગા થયા; અને તેમને પોતાની ન્યાયસભામાં લઈ જઈને તેઓએ કહ્યું કે, 67‘જો તમે ખ્રિસ્ત હો , તો અમને કહો.’ પણ ઈસુએ તેઓને કહ્યું કે, ‘જો હું તમને કહું, તો તમે વિશ્વાસ કરવાના નથી 68વળી જો હું પૂછીશ તો તમે મને જવાબ આપવાના નથી.’

69પણ હવે પછી માણસનો દીકરો ઈશ્વરના પરાક્રમને જમણે હાથે બિરાજશે. 70લોકોએ કહ્યું, ‘તો શું, તમે ઈશ્વરના દીકરા છો?’ તેમણે તેઓને કહ્યું કે, ‘તમે કહો છો તે મુજબ હું તે છું.’ અને તેઓએ કહ્યું કે, હવે આપણને પુરાવાની શી જરૂર છે? કેમ કે આપણે પોતે તેમના મુખથી જ સાંભળ્યું છે.

71

Copyright information for GujULB